પોરબંદરમાં નગરપાલિકાના ટ્રકમાં અચાનક જ આગ લાગતાં ભાગદોડ મચી ગઈ હતી. જો કે આ આગમાં કોઇ જાનહાનિ નહીં થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે મળતી માહિતી અનુસાર પોરબંદરના છાયા ચોકી પાસે ટ્રકમાં એકાએક આગ લાગી હતી. આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે જેના કારણે ટ્રકના ટાયર પણ ફાટવા લાગ્યા હતા. આગમાં ટ્રક સળગીને રાખ થઈ ગઇ હતી. જોકે આ આગ કયા કારણોસર લાગી તે અંગે કોઈ જ વિગતો નથી મળી રહી.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી આગ લાગવાના બનાવો વધી રહ્યા છે. ક્યાંક સિલિન્ડર ફાટવાથી આગ લાગે છે તો શોર્ટ શર્કિટના કારણે આગના બનાવો બની રહ્યા છે. આગના કારણે જાનહાનિ પણ થઈ રહી છે. રાજકોટમાં ગત અઠવાડિયે જ રાષ્ટ્રકથાના તંબુઓમાં આગ લાગી ગઈ હતી જેમાં 4ના મોત થયા હતા અને 15થી વધુ કિશોરીઓ દાઝી ગઈ હતી.