કચ્છઃ રાજ્યમાં ગણેશ ચતુર્થીનો ઉત્સવ ચાલી રહ્યો છે. તેવામાં ચારથી પાંચ આતંકીઓ ગુજરાતની સરહદેથી ઘુસણખોરી કરી હોવાના ગુપ્તચર એજન્સીના ઈનપુટને પગલે કચ્છ બોર્ડર પર ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો બીજી તરફ સ્થાનિક પોલીસ અને પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલીંગ શરૂ કરવામાં આવ્યું છે.
SOG ઉપરાંત સ્થાનિક પોલીસની ટીમ લખપતના અલગ અલગ ગામડાઓમાં તપાસ કરી રહી છે. તો મુખ્ય માર્ગો પર વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. મહત્વનું છે કે થોડા દિવસો પૂર્વે જ હરામીનાળા બોર્ડર પરથી બિનવારસી બોટ મળી આવી હતી. અને ગત મહિને કચ્છમાં બે સેટેલાઈટ સિગ્નલ મળ્યા હતા. કશ્મીર સરહદે સેનાનો જાપ્તો વધતા આતંકીઓ ગુજરાતની બોર્ડરથી ઘુસણખોરી કરે તેવા ઈનપુટ મળ્યા હતા.