અચાનક બદલાયેલી મોસમના કારણે પૂરા ઉત્તર ભારતમાં ઠંડી વધી ગઇ છે. જમ્મુ-કાશ્મીરમાં પણ ભારે હિમવર્ષા થઇ રહી છે. આ વચ્ચે કાશ્મીરના ગુરેજ સેક્ટરમાં બરફવર્ષા થવાને કારણે સેનાના 3 જવાન ગુમ થઇ ગયા છે. રવિવારે રાતથી ગુરેજ સેક્ટરમાં ભારે હિમવર્ષા થઇ જેના કારણે આશરે 5 ફૂટ સુધી બરફ જામેલો હતો.
તો બીજી બાજુ બરફ વર્ષાને કારણે શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય રાજમાર્ગ બંધ થઇ જવાના કારણે અને શ્રીનગર એરપોર્ટથી ફ્લાઇટ રદ થયા બાદ કાશ્મીર ઘાટીનો આજે પૂરા દેશથી સંપર્ક તૂટી ગયો છે. એરપોર્ટના અધિકારીઓએ જણાવ્યું છે કે ભારે હિમવર્ષાથી વાતાવરણ ખરાબ થવાને કારણે શ્રીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટછી વિમાન સેવા પર અસર થઇ છે.
તમને જણાવી દઇએ કે આ પહેલા પણ 2017ની સરૂઆતમાં ગુરેજ સેક્ટરમાં હિમવર્ષાને કારણે 15 જવાન શહીદ થઇ ગયા હતા. હિમવર્ષાને કારણે ગુરેજમાં ધણા દિવસો સુધી જવાન ગુમ રહ્યા હતા પરંતુ બાદમાં 15 જવાનોની લાશને જપ્ત કરવામાં આવ્યા હતા.